એવું કહેવાય છે કે “To err is human”, અર્થાત ભૂલ કરવી એ એક સહજ માનવીય ગુણ છે. પરંતુ ક્યારેક તમારાથી કોઇ એક ગંભીર ભૂલ થઇ જાય છે જે ’અક્ષમ્ય’ કક્ષાની નજીકની હોય છે, જેનાં માટે માફી માંગવાનો અવકાશ નથી રહેતો. માફ થઇ શકે એવી એ ભૂલ હોતી નથી. માફી માંગી શકાય નહી અને માફી મળે નહી એ બન્ને વચ્ચેની જે અસહ્ય અવસ્થા હોય છે તે પારાવાર દુ:ખદાયક હોય છે. કોઇ કહેશે, બીજુ થાય પણ શું..ભૂલ કરી છે તો ભોગવો હવે!
પરંતુ મારે જે વાત છેડવી છે એ છે કે, માનો કે તમે આવી કોઇ ભૂલ કરી(અહી ભૂલની વાત થાય છે હો, તેને ’અપરાધ’ સાથે સરખાવશો નહી. અપરાધ માટે તો સજા જ હોય!), પરંતુ તે ભૂલ તો એકમાત્ર હતી, તેની સામે તમે કરેલ સારા કર્યો, મદદ, વિતાવેલ સારા સમયની ક્ષણોનો સરવાળો આ એક ભૂલ સામે તોતિંગ હોય તો? થતુ એવું હોય છે કે આપણે ઘણીવાર કોઇને તેણે કરેલ એક ભૂલની સાપેક્ષે જ નિરખતા, પારખતા, અવલોકતા અને જોતા હોઇએ છીએ. તે વ્યક્તિની ક્યારેય પણ વાત નિકળે કે તેનાં વિશે વિચાર આવે, આપણે તરત જ તેની પેલી ભૂલને યાદ કરીને તેનાં વ્યક્તિત્વને એની સાપેક્ષે માપી લેતા હોઇએ છીએ. તો પછી એક પ્રશ્ન એ પણ થાય કે તેણે જે કાંઇ પણ સારા કાર્યોનું ચણતર કરેલું તે એક જ ઝાટકે કડડભૂસ કરી દેવાનું? હા, એ ભૂલ એનો વાંક છે…તો લાફો મારો.. તેનાં વિશે તે વ્યક્તિ સાથે ચર્ચા કરો અને શક્ય હોય તો માફ કરો પણ તમારા લિસ્ટમાથી તેનાં નામ પર સાવ ચોકડી જ મારી દેવાની? તો પછી તેની સાથે તમે જે ઉમદા ક્ષણો વિતાવેલી, જે ક્ષણો માટે તમે પોતે જ આફરીન પોકારી ગયેલા, તેણે જે કાંઇ મદદ કે તમારા માટે સારુ કરેલુ, વિચારેલુ તેને સાવ આમ જ ધુતકારવાનું? અફકોર્સ, તેણે જે કાંઇ પણ તમારા માટે કરેલું એ તમને પછીથી ગણાવવા માટે ના જ કરેલું હોય, અલબત એ નિજાનંદ માટે કરેલુ હોય કે જેનો હિસાબ, સરવાળા, બાદબાકી પછીથી કરવાનાં ના જ હોય…. પણ બાત નિકલી હૈ તો, બાત પુરી કરેંગે!
આમાં ખૂબ અગત્યનો મુદ્દો જો કોઇ હોય તો તે છે “વિશ્વાસ.” આર્થર એશએ કહ્યુ છે કે “Trust has to be earned, and should come only after the passage of time.” આ વિશ્વાસ પણ કેવો અઘરો ગુણ છે! તે મેળવવા માટે તમારે તપ કક્ષાની મહેનત કરવી પડતી હોય છે, જે ક્યારેક એક ગપ જેવી ક્ષુલ્લક બાબત દ્રારા ચાલ્યો જાય છે. પરંતુ જેમ શરૂઆતમાં કહ્યુ તેમ ભૂલ થવી એ આપણા માટે એક સ્વાભાવિક ઘટનાં છે તો પછી આપણે જ્યારે કોઇને તેની એક ભૂલ માટે “દેખાય નહી પણ પુરા અસ્તિત્વને હલાવી નાખે” તેવો લાફો મારીએ છીએ તો શું ત્યારે એક ક્ષણ માટે થોભીને એ બધી મોમેન્ટ્સને યાદ નાં કરવી જોઇએ જેનાં દ્રારા એ વિશ્વાસનું સર્જન થયેલું? ખરેખર, શું એ બધી ક્યારેય ભૂલાઇ નહી, ભૂલી શકાય નહી તેવી મોમેન્ટ્સનો આ એક ભૂલની સામે કોઇ જ અર્થ નથી હોતો? ગીવ ઇટ અ સ્પેશ્યલ થોટ, પ્લીઝ. અને મારો એવો કોઇ ઉદેશ્ય નથી કે જેણે ભૂલ કરી છે અને તેને ભૂલ કર્યાનો અફસોસ નથી તો તમારે તેને માફી આપવી જોઇએ. આવા સંજોગોમાં તો માફી આપવાનો કોઇ સવાલ જ નથી કેમ કે માફી માંગનાર જ કોઇ નથી. પરંતુ જ્યારે જે તે વ્યક્તિને તેણે કરેલ ભૂલનો વસવસો ભયંકર રીતે કોરી ખાતો હોય છે અને તે પૂરા દિલથી તમારી માફી માંગે છે, વારંવાર માંગે છે તેવા સંજોગોમાં પણ શું તમે તે બધી મોમેન્ટ્સને ભૂલીને આ એક ભૂલને પકડી રાખશો? એક સેકન્ડ માટે જરા તમારી જાતને તે વ્યક્તિ તરીકે કલ્પો, કદાચ તેની પરિસ્થિતી સમજી શકવાની અવસ્થા નિર્માણ પામશે. ભૂલ કરનાર વ્યક્તિ કોઇપણ હોઇ શકે, તે એક વિદ્યાર્થી, પુત્ર, પુત્રી, મિત્ર, પ્રેમી, માતા, પિતા, સગા-વ્હાલા, પાડોશી હોઇ શકે.
ઓશો વિશ્વાસ વિશે કંઇક અનોખુ જ કહે છે “A man who trusts simply trusts. And each time he is cheated because of his trust, his trust is not destroyed, it is strengthened.” ઓશોને સમજવા એટલે મગજને કોરાણે મુકીને દિલથી સમજવું. ઓશો કહે છે કે, જ્યારે કોઇ તમારો વિશ્વાસભંગ કરે છે ત્યારે તમારો વિશ્વાસ તુટતો નથી પરંતુ વધારે મજબુત બને છે કેમ કે જે વ્યક્તિ વિશ્વાસ કરે છે, બસ તે વિશ્વાસ કરે છે. જિસસ ક્રાઇસ્ટ કહે છે “Forgive your enemies, love your enemies.” કેમ કે ઓશો આ વાક્ય વિશે ઉમરે છે કે “…And he is right, because if you can forgive your enemies you will be free of them, otherwise they will go on haunting you. Enmity is a kind of relationship; it goes deeper than your so-called love.” પ્રેમ કરતા પણ દુશ્મની એ વિશેષ સંબંધ છે!
વેલ, માફી માંગવી આપળા હાથની હોય છે, મેળવવી નહી. એટલે જો આપણે આપળી કોઇ એક ભૂલ માટે માફી મેળવી શક્યા ના હોઇએ તો એ પરિસ્થિતીમાથી એટલું તો શીખી શકીએ કે શું આપણે કોઇ વ્યક્તિને તેની એક ભૂલ માટે માફી નથી આપી? જો જવાબ હાં છે ઇટ્સ ટાઇમ ટુ થિંક અબાઉટ ઇટ. કેમ કે, “To Forgive is Divine” ઇટ્સ જસ્ટ યુ, બટ ઓન ધ અધર સાઇડ ઓફ ધ ટેબલ!
























{ 1 comment… read it below or add one }
(bhul ne bhul) – (forgive & forget your mistake) Nice one.